Washington Sundar: વોશિંગ્ટન સુંદરે માન્ચેસ્ટર ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરતા અણનમ સદી ફટકારી અને ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ ડ્રો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેમણે રવિન્દ્ર જાડેજા સાથે બેવડી સદીની ભાગીદારી કરી અને 206 બોલમાં 101 રન બનાવીને અણનમ પરત ફર્યા. આ પ્રદર્શન પછી પણ તેમના પિતા એમ સુંદરે સિલેક્ટર્સ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે, તેમના પુત્રને સતત તકો આપવામાં આવતી નથી
2021માં ટેસ્ટ ડેબ્યૂ, અત્યાર સુધી માત્ર 12 ટેસ્ટ
વોશિંગ્ટન સુંદરે જાન્યુઆરી 2021માં ઓસ્ટ્રેલિયા સામે ગાબા ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું, જે ભારત માટે એક ઐતિહાસિક જીત સાબિત થયું હતી. જો કે, આ પછી સુંદરે અત્યાર સુધીમાં માત્ર 12 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી મોટાભાગની છેલ્લા 12 મહિનામાં રમાઈ છે.
માન્ચેસ્ટરમાં શાનદાર પ્રદર્શન
માન્ચેસ્ટર ટેસ્ટના બીજી ઇનિંગમાં ઋષભ પંતની ઈજાને કારણે વોશિંગ્ટન સુંદરને નંબર 5 પર બેટિંગ કરવાની તક મળી. તેણે આ તકનો સંપૂર્ણ ઉપયોગ કર્યો અને શાનદાર ટેકનિકથી બેટિંગ કરી. આ પ્રદર્શન પછી તેના પિતાએ સ્પષ્ટપણે કહ્યું કે, સુંદરને સતત પાંચથી દસ મેચ રમવાની તક આપવી જોઈએ.
વોશિંગ્ટન સુંદરના પિતાએ શું કહ્યું
એમ સુંદરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘વોશિંગ્ટન સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે, છતાં પણ તેની અવગણના કરવામાં આવે છે. અન્ય ખેલાડીઓને સતત તકો મળે છે પણ મારા પુત્રને નહીં. તેણે 2021માં ચેન્નાઈમાં ઈંગ્લેન્ડ સામે ટર્નિંગ પિચ પર અણનમ 85 રન બનાવ્યા હતા અને અમદાવાદમાં પણ 96* રન બનાવ્યા હતા. જો તેણે બન્ને ઇનિંગ્સમાં સદી ફટકારી હોત, તો પણ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હોત. શું અન્ય કોઈ ભારતીય ખેલાડી સાથે આવો વ્યવહાર થયો છે?’ તેમણે આગળ કહ્યું કે, ‘હવે વોશિંગ્ટન માનસિક રીતે વધુ મજબૂત બની ગયો છે અને તેનું પરિણામ આજે લોકો જોઈ રહ્યા છે.’